ગાંધીનગર, પ્રયાગરાજમાં મહાકુંભ(Maha Kumbh 2025) ચાલી રહ્યો છે. શ્રદ્ધાળુઓ ત્રિવેણી સંગમમાં આસ્થાની ડુબકી લગાવવા જઈ રહ્યા છે. દેશ-વિદેશથી લોકો પ્રયાગરાજ પહોંચી રહ્યા છે. ત્યારે ગુજરાતમાંથી પણ મોટી સંખ્યામાં લોકો પ્રયાગરાજ જઈ રહ્યા છે. હજુ પણ હજારો લોકોને પ્રયાગરાજ જવું છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા શ્રદ્ધાળુઓ માટે કુંભ સ્પેશિયલ બસ શરૂ કરી છે. જે 27 જાન્યુઆરીથી રોજ પ્રયાગરાજ માટે એસી વોલ્વો બસ ચાલશે.
માત્ર રૂ. 8100 માં પ્રતિ વ્યક્તિ 3 રાત્રિ/4 દિવસનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે જેમાં તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.જેમાં શિવપુરી ખાતે રાત્રી રોકાણની વ્યવસ્થા કરવામાં આવી છે. દરરોજ સવારે 7 વાગ્યે રાણીપ એસ.ટી ડેપો, અમદાવાદ ખાતેથી દરરોજ એસી વોલ્વો બસ પ્રયાગરાજ જવા નીકળશે.અને પ્રયાગરાજ ખાતે રાત્રિ રોકાણ ગુજરાત પેવેલિયનની ડોરમેટરી ખાતે કરવામાં આવ્યું છે.
27 જાન્યુઆરીની 2025થી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગાંધીનગર સર્કિટ ખાતેથી યાત્રાને પ્રસ્થાન કરાવશે. ત્યાર બાદ 28 જાન્યુઆરીથી દરરોજ સવારે 7 વાગેથી અમદાવાદના રાણીપ એસટી ડેપોથી એસી વોલ્વો બસ પ્રયાગરાજ જવા નીકળશે.
3 રાત 4 દિવસનો પ્રવાસ – પહેલા દિવસે સવારે સાત કલાકે અમદાવાદથી પ્રસ્થાન થશે અને સાંજે 7 વાગ્યે બસ શિવપુરી પહોંચશે. પહેલી રાત્રિ શિવપુરીમાં રોકાણ કરાવવામાં આવશે. ત્યાર બાદ બીજા દિવસે સવારે 6 કલાકે શિવપુરીથી પ્રસ્થાન કરશે અને બપોર બાદ પ્રયાગરાજમાં બસ પહોંચશે. બીજા દિવસના આગમનથી ત્રણ દિવસના પ્રસ્થાન સુધી પ્રયાગરાજ ખાતે સ્નાન માટે આરક્ષિત રહેશે.
ત્રીજા દિવસે બપોરના એક કલાકે પ્રયાગરાજથી બસ પ્રસ્થાન કરશે. રાતે 11 કલાકે બસ શિવપુરી પહોંચશે. શિવપુરીમાં રાત્રિ રોકાણ થશે. અને ચોથા દિવસે પ્રસ્થાન કરશે. અને સાંજે 7 વાગ્યા આસપાસ અમદાવાદ પરત ફરશે. જોકે પ્રયાગરાજમાં યાત્રિકો મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે. ત્યારે સમય અને સુવિધામાં પરિસ્થિતિ અનુસાર ફેરફાર થવાની શક્યતા રહે છે.
પ્રયાગરાજ પેકેજ ઓનલાઈન બુકિંગ માટે 25 જાન્યુઆરીથી એસટી નિગમની વેબસાઈટ www.gsrtc.in પરથી કરી શકાશે. આ બુકિંગ તમે આવતીકાલથી એટલે કે 25મી તારીખથી કરાવી શકશો.