Wed. Oct 16th, 2024

કેન્દ્રીય ગૃહમંત્રીઅમિત શાહ(Amit Shah)એ દેશના પ્રથમ ટેલિ-રિહેબિલિટેશન સેન્ટરનો અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે શુભારંભ કર્યો

SOURCES BY X POST

અમદાવાદ, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે આજે અમદાવાદ (Ahmedabad)ની સોલા સિવિલ હોસ્પિટલ (Sola Civil Hospital)માં દેશના પ્રથમ ટેલિ-રિહેબિલિટેશન સેન્ટરનો શુભારંભ કરાવ્યો હતો. સરકારી સંસ્થામાં આ પ્રકારનું સેન્ટર શરુ કરનાર ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ રાજ્ય છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગે સોલા સિવિલ હોસ્પિટલ (Sola Civil Hospital) સ્થિત ઓડિયોલોજી એન્ડ સ્પીચ લેંગ્વેજ પેથોલોજી કૉલેજમાં થયેલા આધુનિકરણનું પણ લોકાર્પણ કરાયું હતુ. વધુમાં કોક્લિયર ઇમ્પ્લાન્ટ સંદર્ભે ‘A Comprehensive Guide to Hearing, Speech, and Language Development in Children with Cochlear Implants.’ પુસ્તકનું પણ વિમોચન કરવામાં આવ્યું હતુ.

આ પ્રકારનું સેન્ટર શરુ કરનાર ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ રાજ્ય

SOURCES BY X POST

અત્રે નોંધનીય છે કે, કોકલીયર ઇમ્પ્લાન્ટ સર્જરી કરવામાં આવેલ બાળકોને રિહેબિલિટેશનમાં સ્પીચ થેરાપીની તાકીદે જરૂરિયાત રહેતી હોય છે. ગુજરાતના વિવિધ વિસ્તારમાંથી બાળકોને અમદાવાદ (Ahmedabad) સોલા સિવિલ હોસ્પિટલમાં આ થેરાપી સેશન માટે આવવું પડતું હતું. અમદાવાદથી દૂર રહેતા દર્દીઓને મુસાફરી ખર્ચ, ઓડિટરી વર્બલ થેરાપીના અભાવના પરિણામે આ લાભ નહિવત પ્રમાણમાં મળતો હતો. જેના કારણે બાળકમાં સાંભળવાનું તથા બોલવાનો વિકાસ અપૂરતો રહી જતો હતો. જેથી કેટલાક કિસ્સામાં આ કોકલીયર ઈમ્પ્લાન્ટ સર્જરીનું સફળ પરિણામ મળતું ન હતું. સરકાર દ્વારા રૂપિયા 25 લાખના ખર્ચે RBSK, PIU, DEIC તથા ઓડિયોલોજી કૉલેજની મદદથી ટેલિ-રિહેબિલિટેશન માટે અગત્યની વ્યવસ્થા ઊભી કરાઈ છે. જેથી આ કાર્યક્રમના સાર્થક પરિણામ મળે અને બાળકો સર્જરી બાદ બોલતા અને સાંભળતા પણ થાય. ટેલિ-રિહેબિલિટેશનની મદદથી હવે જિલ્લા સ્તરે ડિસ્ટ્રિક્ટ અર્લી ઇન્ટરવેન્શન સેન્ટર(DEIC) ખાતે કોકલીયર ઇમ્પ્લાન્ટ કરાયેલાં બાળકોને સ્પીચ થેરાપી સેશનના લાભ મળી રહેશે. આ સેન્ટરથી વિડિયો કોલિંગ કરીને સાઉન્ડ પ્રુફ અદ્યતન રૂમ્સમાં આવાં બાળકોને થેરાપી આપવામાં આવશે. આ કેન્દ્રો પણ પીડિયાટ્રિક, ઓડિયોલોજિસ્ટ અને આર.બી.એસ.કે. વર્ક્સ એક સાથે કનેક્ટ થશે. અગાઉ ફક્ત ઓડિયો માધ્યમથી આ સેવા ઉપલ્બધ હતી. હવે આ ટેલી-રિહેબિલિટેશન સેન્ટર કાર્યરત બનતા વિડિયો કોલિંગના માધ્યમથી સમગ્ર થેરાપી હાથ ધરાશે.

કેન્દ્રીય મંત્રીના હસ્તે ઓડિયોલોજી કૉલેજના આધુનિકરણનું લોકાર્પણ કરાયું

SOURCES BY X POST

ઓડિયોલોજી કૉલેજના વિસ્તરણ અને આધુનિકરણ માટે સરકાર દ્વારા રૂપિયા 35 લાખ ફાળવવામાં આવ્યા છે. જેની મદદથી આંતરાષ્ટ્રીય સ્તરના નવા ૭ સાઉન્ડપ્રૂફ રૂમ બનાવવામાં આવ્યા છે. આ સાઉન્ડ પ્રૂફ રૂમના બનવાથી સાંભળવાની, બોલવાની, ચક્કરની તકલીફ તથા જેમને પક્ષઘાત પછી થતી ખોરાક ગળવાની તકલીફ હોય તેવા દર્દીઓ તેમની તપાસણી સાથે થેરાપી રૂપે સારવાર મેળવી શકશે. ઓડિયોલોજી કોલેજમાં વેસ્ટિબ્યુલોનીસ્ટેગ્મોગ્રાફી (VNG) વસાવવામાં આવ્યું છે. આ સાધન, ચક્કર આવાનાં કારણો શોધવામાં મદદરૂપ છે. દર્દીને કાનમાં તકલીફ હોવાના કારણે કે મગજમાં તકલીફ હોવાના કારણે ચક્કર આવે છે, તે આ સાધનના મદદથી નિદાન કરી શકાશે.

દર્દીઓ માટે આધુનિક સાધન વાઇટલ સ્ટીમ્યુલેશન વસાવવામાં આવ્યું

SOURCES BY X POST

તદ્ઉપરાંત સ્ટ્રોક, ગળાનું કેન્સર કે કોઈ અન્ય ચેતાતંત્રની તકલીફના કારણે ખોરાક ગળવાની તકલીફ ધરાવતા દર્દીઓ માટે આધુનિક સાધન વાઇટલ સ્ટીમ્યુલેશન વસાવવામાં આવ્યું છે. આ સાધન ગળાના ખોરાક ગળવાની સ્નાયુને ઉત્તેજિત કરે છે. ‘A Comprehensive Guide to Hearing, Speech, and Language Development in Children with Cochlear Implants.’ પુસ્તક વિશે – આ પુસ્તક કૉકલીયર ઈમ્પ્લાન્ટ ધરાવતા બાળકોમાં વિવિધ સ્તરે વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા શ્રવણ, વાણી અને ભાષાના વિકાસને દર્શાવવા માટે બનાવાયું છે. આ પુસ્તકમાં સાંભળવાનું તથા બોલવાનું અને ભાષાના ક્ષમતાના વિકાસ પર કેન્દ્રિત ત્રણ મૉડ્યુલનો સમાવેશ થાય છે. જે નિષ્ણાત અને માતા-પિતાને બાળકના સાંભળવાનું, બોલવાનું અને ભાષાના વિકાસ સાથે સંકળાયેલા નિશ્ચિત લક્ષ્યો નિર્ધારિત કરવામાં અને તેની પ્રવૃત્તિઓ પસંદ કરવામાં સહાયતા કરશે.

ઓડિયોલોજી એન્ડ સ્પીચ લેંગ્વેજ પેથોલોજી કોલેજ શરૂ કરાઇ


અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2021 માં રિહેબિલિટેશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની માન્યતા સાથે 20 વિદ્યાર્થીઓની બેઠકોની મંજૂરી સાથે ઓડિયોલોજી એન્ડ સ્પીચ લેંગ્વેજ પેથોલોજી કોલેજ શરૂ કરાઇ હતી. આ કૉલેજ ગુજરાત યુનિવર્સિટી સાથે સંલગ્ન છે. બેચલર ઇન ઓડિયોલોજી એન્ડ સ્પીચ લેંગ્વેજ પેથોલોજીનો અભ્યાસક્રમ કુલ 04 વર્ષનો છે,જેમાં 03 વર્ષ અભ્યાસક્રમ અને 01 વર્ષ ઇન્ટર્નશીપ છે. G.M.E.R.S. મેડિકલ કૉલેજ સંલગ્ન હોસ્પિટલ – સોલા, અમદાવાદ એ રાજ્યમાં બેચલર ઇન ઓડિયોલોજી એન્ડ સ્પીચ લેંગ્વેજ પેથોલોજી અભ્યાસક્રમ શરૂ કરનાર સર્વપ્રથમ સરકારી મેડિકલ કૉલેજ છે. હાલમાં ભારતનાં ૪ રાજ્યોમાં સરકાર દ્વારા આ અભ્યાસક્રમ ચલાવવામાં આવી રહ્યો છે. શરૂઆતમાં કૉલેજ ખાતે કુલ 03 સાઉન્ડપ્રૂફ અને 07 સ્પીચ થેરાપી રૂમના ક્લિનિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સાંભળવાની તકલીફ અને બોલવાની તકલીફ ધરાવતા તથા કોકલીયર ઈમ્પ્લાન્ટવાળા દર્દીઓને સેવા આપવામાં આવતી હતી.

Related Post